Tuesday, 25 May 2010

કોઇ કહેતું નથી : મનોજ ખંડેરીઅા

કવિ - મનોજ ખંડેરિયા



લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમહોર ક્યાં ગયો કોઇ કહેતું નથી

પૂછું છું બારણે- બારીને- ભીંતને-
લાલ નળિયાં-છજાં-ને વળી ગોખને-
રાત દી' ટોડલે બેસીને ધેકતો
મોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવવાનુંય ભૂલી ગયાં
ટપકતો ખાલીપો પૂછતોઃ મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર,તે ક્યાં ગયો કોઇ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કુંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી.

No comments:

Post a Comment