Sunday, 2 May 2010

મારાં નયણાંની આળસ રે : કવિ નાન્હાલાલ

કવિ - નાન્હાલાલ
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજીત શેઠ



મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું, ન ઠરિયાં ઝાંખી કરી.

શોક - મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાળી રે, ચરાચરમાં ઊભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મને છાઇ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.

પણ પૃથ્વીના પડળો રે, શી ગમ તેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયો કંઇ દિનની.

સ્વામી સાગર સરીખા રે; નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, 'વિરાટ વિરાટ' વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારા રે, પ્રભુ! ક્યારે ઊતરશે?

નાથ! એટલી અરજીરે, ઉપાડો જડ પડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હ્રદય ભરી નીરખો હરિ.

(મૂળ કૃતિ - પ્રેમભક્તિ ભજનાવલી)
(સૌજન્ય - વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા)

No comments:

Post a Comment