Saturday, 25 September 2010

ઘર મહીં પેઠું પાકિસ્તાન - સાદુળ ભગત

 (આ ફોટામાં જમણેથી દુર્લભજી ખેતાણી, ભવાની શંકર ઓઝા, શામળદાસ ગાંધી, નરેન્દ્ર નથવાણિ, મણિલાલ
દોશી - આરઝી હકુમતનું પ્રધાનમંડળ)



૨૫ સપ્ટેમ્બર એટલે 'આરઝી હકુમત'નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત.

જરા વિચારો કે જો આરઝી હકુમત ન સ્થપાઇ હોત તો શું થાત? કદાચ કાશ્મીરની જેમ જૂનાગઢ પણ ભારતનાં માથાનો દુઃખાવો હોત. ગિરનાર પર્વત આપણો ના હોત. નરસિંહ મહેતા અને મનોજ ખંડેરિયાનો સાહિત્યવારસો લોપાઇ જાત. અરે ગુજરાતની અસ્મિતાનું પ્રતિક સમું સોમનાથપાટણનું મંદિર આજે ના હોત. કલ્પનાં જ ભયાનક છે. ધન્ય છે આ વીરો કે જેણે જૂનાગઢને બચાવ્યું. 

કવિ સાદુળ ભગતની આ પરિસ્થિતિને અનુલક્ષીને એક રચના વાંચીયે.

સાદુળ ગ્યા'તા શહેરમાં, રાખી બંધ મકાન;
આવ્યાં ત્યાં તો ઘર મહીં પેઠું પાકિસ્તાન.

તાળાં તોડીને ઓરડે, સિંધી વસ્યા ચાર;
ઘરવખરી ઉઠાવીને, ફેંફી આંગણા બહાર.

સાદુળ કહે આ શું કરો? લાગે મને નવાઇ;
વણમાગ્યા વણનોતર્યા, આવ્યા ક્યાંથી ભાઇ?

સિંધી બોલ્યા ચૂપ રહે, દીઠી છે આ છરી?
કાયદા કેરા કાયદા, અહીંયા વળ્યા ફરી.

મકાન મળ્યું મનગમતું, વસશું ધરી પ્રીત;
દુનિયા દેખે આ નવી, રાજ કર્યાની રીત.                        
                                                                              
(નોંધ - કાવ્યમાં જ્યાં જ્યાં સિંધીનો ઉલ્લેખ આવે છે ત્યાં જૂનાગઢના દિવાન ભુટ્ટોને સમજવા. સામાન્ય સિંધી પ્રજા સાથે તેને કોઇ નિસબત નથી.)

(Special Thanks  સફારી -૧૬૮)

1 comment:

  1. ઉલ્લાસ ઓઝાSaturday, September 25, 2010 12:25:00 pm

    આરઝી હકૂમત વિષે જાણ કરવા બદલ આભાર.
    ધન્ય છે આવા વીરોને જેમણે ભારતની આઝાદી મેળવવા યોગદાન આપ્યુ.

    ReplyDelete