Sunday, 14 August 2011

કંકોત્રી - આસીમ રાંદેરી

આ ગઝલ અને તેના કર્તા વિશે કોઇને પરિચય આપવાનો હોય જ નહીં. લીલાકાવ્યો દ્વારા અમર થઇ જનારાં અને લીલાકાવ્યોને અમર કરનારા કવિ આસિમને ૧૦૭ન જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છા. આસિમની ભૌતિક ગેરહાજરી હોવા છતાં એમની લીલા દ્વારા તેઓ આપણી વચ્ચે જીવંત જ છે. માણીએ આ આસ્વાદ.

કવિ - આસિમ રાંદેરી

સ્વર, સંગીત - મનહર ઉધાસ






મારી એ કલ્પના હતી કે વિસરી મને,


કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને;
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

‘આસીમ’ હવે વાત ગઇ, રંગ પણ ગયો,
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો;
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…


(શબ્દો - અતુલ વાળંદ)

No comments:

Post a Comment