Saturday 1 May 2010

ગુજરાતની અસ્મિતાની શોધ : આપણું ગુજરાત, આપણી લાગણી

મિત્રો, આપણા લાડીલા ગુજરાતની સ્વર્ણિમ જયંતીની આપ સહુને હાર્દિક શુભેચ્છા. આજના દિવસે 'અભિષેક' પર શું મુકવુ તે પ્રશ્ન મને લાંબા સમયથી મુંઝવતો હતો. ગુજરાત વિશે લખેલા બધા જ ગીતો, પછી નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' હોય કે ખબરદારનું 'યશગાથા ગુજરાતની' હોય, આપણા હૈયામા વસી ચુક્યા છે. 


અંતે સ્વર્ણિમ જયંતીના દિવસે આપણો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો.મેં 'આપણું ગુજરાત, આપણી લાગણી' નામે એક અભિયાન ચાલુ કર્યું જેમા ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની ૧૦ વ્યક્તિઓ પાસેથી ગુજરાત્ની અસ્મિતા, ઓળખ, સંસ્કૃતિ, ભાષા વિશે તેમના મત જાણવાનો પ્રયત્ન કર્યો. અંતે તો આપણા ગુજરાત માટે આપણે શું વિચારીયે છે તે સહુથી વધુ અગત્યનું છે. તો ચાલો ચાલુ કરીયે.
૧) કાજલ ઓઝા
     લેખિકા
આ નામથી તો ભાગ્યે જ કોઇ ગુજરાતી પરિવાર અજાણ હશે. 'યોગ-વિયોગ','કૃષ્યાયન' કે પછી 'દરિયો એક તરસનો' વગેરે પુસ્તકો દ્વારા વાચકોનાં હ્રદયમાં આગવુ સ્થાન મેળવનારા કાજલબેન ગુજરાતનાં સુખી અને સમૃધ્ધ જીવનને આપણિ અસ્મિતાનું પ્રતિક ગણે છે. વધુમાં તેઓ જણાવે છે કે કોઇ પણ સમાજની અસ્મિતાનું વહન સ્ત્રી કરે છે. આજે ગુજરાતી નારી આર્થિક અને સામાજીક બાબતોમાં સ્વાવલંબી બની છે, તે આપણિ અસ્મિતાનું નવું પરિમાણ છે. 
પ્રાંતવાદ પર ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે ભવિષ્યમાં ગુજરાતીઓ ૧૦૦% પરપ્રાંતિઓને વિરોધ કરશે. 'આપણાં આર્થિક સાધનોનો કોઇ આપણાં ભોગે જ ઉપયોગ કરે ત્યારે વિરોધ જરૂર થાય. હા, પણ આવિરોધ ક્યારે થશે તે આપણી સહિષ્ણુતા પર આધાર રાખે છે. '
આપણિ અસ્મિતાની બાબત પર વધુ ચર્ચા કરતાં તોએ વાસ્ત્વિકતા વ્યક્ત કરે છે કે' આજે ગુજરાતીઓ બધી વાતે સુખી છે, એટલે અસ્મિતા યાદ આવી છે. બાકી અન્ય રાજ્યોની જેમ ખાવાનાં પણ ફાંફા હોય તો અસ્મિતાને કોણ યાદ કરે.' સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંગે જરાય શબ્દો ચોર્યા વગર સ્પષ્ટપણે જણાવે છે કે આ ઉજવણી સામાન્ય લોકો સુધી પહોંચી નથી. ગુજરાતી ભાષામાં અંગ્રેજીના વધતા જતાં મહત્વ માટે તેઓ કહે છે કે 'આજે આખા વિશ્વની ભાષા બદલાઇ છે, તો આપણે અલિપ્ત કેમ રહીયે.'
ગુજરાતી બ્લોગજગત વિશે આનંદ વ્યક્ત કરતાં તેઓ માને છે કે,'સમયની સાથે બદલાવું ખુબ જ જરૂરી છે.'બ્લોગ પર કોઇ લેખક કે કવિની કૃતિ ઉપલબ્ધ કરાવવાં સામે તેમને કોઇ જ વિરોધ નથી. તેઓ જણાવે છે કે,'જ્યારે તમે તમારી રચના સમાજને અર્પણ કરો છો, ત્યારે તેનાં પરના અમુક હકોને તમે ગુમાવો છો. જ્યાં સુધી કોઇ તેને પૈસા કમાવાનું માધ્યમ ન બનાવે ત્યાં સુધી તેમને કોઇ જ વિરોધ નથી.'
'ગુજરાતીઓ પોતાની ઓળખ પ્ર્ત્યે બેદરકાર છે' તે ટીકાનો સ્વીકાર કરતાં તેઓ એમ પૂછે છે કે 'આપણે બીજાથી શા માટે અભિભુત થવું જોઇએ?'અંતે આજનો ગુજરાતી ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે તે વાત ને નકારતાં તેઓ દ્રઢપણે માને છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે.

 ૨) હરિશ્ચંદ્રસિંહ રાઓલ
      ASI
શહેરના 'ગુજરાત યુનિવર્સિટી' પૉલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રાઓલ હરિશ્ચંદ્ર સાહેબ કહે છે કે અસ્મિતા એટલે ગુજરાતની પ્રગતિનું વાસ્તવિક ચિત્ર. હા, પણ તેઓ આપણી ઓળખ સમા તિર્થસ્થળો અને પ્રવાસનધામોની યોગ્ય જાણવણી કરવામા નથી આવતો એ બાબતે આક્રોશ વ્યક્ત કરે છે. આ ઉપરાંત સરકારના કેટલાક બોગસ માણસોનો બેજવાબદાર વહીવટ આ પ્રતિકોની પવિત્રતાને અભડાવે છે. ધર્મસ્થાનોમાં ચાલતા ધતિંગોને પણ તે વખોડી નાખે છે અને કેટલાક લેભાગુ તત્વોએ ધર્મસ્થાનોને બજારુ બનાવી દીધા છે, તેની વેદના પણ વ્યક્ત કરે છે.'ભગવાનના દર્શન કરવા ગરીબ અને તવંગરના ભેદ શેનાં?'. ગુજરાતના યુવાનોમા આત્મહત્યા, બળાતકાર, તમાકુ-હુક્કા વગેરેનું વ્યસન વધ્યુ હોવાનું સ્વીકારી તે માટે તેઓ પશ્ચિમની સંસ્કૃતિના બેફામ અનુસરણને જવાબદાર ગણે છે. અંતે સ્વર્ણિમ ગુજરાતમાં પૉલીસખાતાંનું વર્તન વધુ પ્રજામિત્ર રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરે છે.



૩) કલ્પનાબેન શાહ,
    ગૃહિણી



સામાન્ય રીતે ગૃહિણી ઘરની ઘટમાળમાંથી જ નવરી પડતી નથી. સ્વર્ણિમ ગુજરાત અને અસ્મિતા જેવાં વિષયોને બદલે સાંજે કયું શાક બનાવવું એ બાબત વધુ અગત્યતા ધરાવે છે. શહેરના એક મધ્યમવર્ગી વિસ્તારમાં રહેતાં ગૃહિણી કલ્પનાબેન શાહ પોતાની વાત કરતાં કહે છે કે' ભાઇ, છાપાંમા આવે એટલે ખબર છે તો ખરી કે સ્વર્ણિમ ગુજરાત જેવું કંઇ છે ખરું.' ગુજરાતની અસ્મિતા વિશે પૂછેલા પ્રશ્નનો તેઓ જવાબ આપી શકતાં નથી. હા પણ, ગુજરાતમા તેમને શું ગમે છે, તેવા પ્રશ્નનાં ઉત્તરમા વિના વિલંબ કહે છે કે 'આપણાં મંદિરો અદભૂત છે. આપણું જીવન બહુ સારું છે.' જૂનાં ગુજરાતી ફિલ્મી ગીતો અને લોકગીતો સાંભળવાનો તેમને શોખ છે. પણ લગ્ન અને અન્ય પ્રસંગે ભેગાં થઇ ગીતો ગાવાની પરંપરા વિસરાઇ રહી છે તેમ તે માને છે. અંગ્રજીના આક્રમણ વચ્ચે ક્યારેક પોતે ગુજરાતી હોવાનો સંકોચ પણ અનુભવે છે. આપણી મીઠી ભાષાની અવગણનાં થતી હોવાનું તેમને દુઃખ પણ છે. હા પણ. સાચાં ગુજરાતણ તરીકે પોતાનું ઘર પરિવાર સાચવી જાણવાની અને બાળકોનો સારો ઉછેર કરવાની ફરજ  શ્રેષ્ઠ રીતે બજાવ્યાનો ગર્વ તેમની આંખોમાંથી ડોકાયા વગર રહેતો નથી.



૪) દેવેનભાઇ શાહ,
નોકરી







અમદાવાદમાં એક બાઇકના શૉ રૂમમા ફરજ બજાવતાં દેવેનભાઇ શાહ પોતાનો મત આપતા કહે છે કે સમગ્ર દેશમાં ગુજરાત એક શ્રેષ્ઠ રાજ્ય છે, તે જ તેની વિશિષ્ટ ઓળખ છે. અહીં કુટુંબભાવના અને લાગણીશીલ વાતાવરણ જોવા મળે છે. એક બીજાને નીચે પાડીને આગળ વધવાની આપણી વૃત્તી નથી.. એક ગુજરાતી તરીકેની પોતાની ઓળખનો તેમને ખુબ જ ગર્વ છે, હા પણ તેના નામે સંકુચિત પ્રદેશવાદને ઉત્તેજન આપવાનો તેઓ વિરોધ કરે છે. ગુજરાતી ભાષાને પુરતું મહત્વ મળતું નથી તે બાબત પર તેઓ દુઃખ વ્યક્ત કરે છે, પણ સાથે જ ભવિષ્યમા ગુજરાત આવીને આવી રીતે પ્રગતી કરતું જ રહેશે તેવો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરે છે.

૫) હંસાબેન પટેલ,
    નોકરી

શહેરના નદીપારના વિસ્તારના એક પુસ્તક વિક્રેતાને ત્યાં નોકરી હંસાબેન પટેલ ગુજરાતની અસ્મિતાને અહીં મળતાં શાંત અને સગવડભર્યા જીવન સાથે સરખાવે છે. સ્વર્ણીમ ગુજરાત વિશે આછોપાતળો ખ્યાલ ધરાવતાં તેઓ માને છે કે 'આ કાર્યક્રમ સરકારી પ્રયત્નિ પૂરતો જ સીમિત રહ્યો છે. સામાન્ય પ્રજામાં ઉત્સાહનો અભાવ છે.' પુસ્તક વિક્રેતાને ત્યાં નોકરી કરતાં હંસાબેન જણાવે છે કે પ્રજાની વાંચનભૂખ ઘટી નથી. ઉલટાનું નવલકથા અને વાર્તાની સાથે સંશોધનને લગતાં એવાં અઘરા વિષયોના પુસ્તકોનું વેચાણ પણ સારું થાય છે. જો કે માટાભાગના મુલાકાતીઓ કૉલેજના વિદ્યાર્થીઓ હોય છે અને જો પુસ્તકો વાંચવાનું અભ્યાસક્રમમાંથી દૂર કરવામા આવે તો તેના વેચાણ પર ચોક્કસ અસર પડશે. પોતાની ગુજરાતી તરીકેની ઓળખ વિશે વાત કરતાં કહે છે કે' ગુજરાતી હોવાનો મને ગર્વ છે, પણ હું સારા માણસ બનવાનું વધુ પસંદ કરીશ.'  સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત થતાં પૈસાના ધુમાડાં સામે તે વિરોધ વ્યકત કરતાં કહે છે કે ' આ ઉત્સવને ઉજવાના બીજાં ઓછા ખર્ચાળ રસ્તા વિશે પણ સરકારે વિચારવું જોઇએ.'

૬) સોનલ યાદવ,
    પ્રાધ્યાપક

ઉત્તર પ્રદેશના વતની, પણ જન્મથી જ ગુજરાતમા રહેતા પ્રો. સોનલ યાદવ પોતાને ગુજરાતી તરીકે જ ઓળખાવે છે. ગુજરાતી પ્રજાનો સાલસ સ્વભાવ તેમને ખુબ જ પ્રિય છે. આટલાં વર્ષોમાં તેમને પરપ્રાંતિ હોવાને કારણે થતાં ભેદભાવનો કોઇ અનુભવ થયો નથી. પણ તે ચિંતાજનક અવાજે ઉમેરે છે કે' મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમા લાગેલી આગ ગુજરાતમાં ફેલાય તેવો મનમાં ડર ખરો.'


ગુજરાતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને ગુજરાતની અસ્મિતા ગણતાં સોનલબહેન દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે 'આજે ગુજરાતીઓ જ તેમની અસ્મિતા પ્રત્યે બેદરકાર છે.' આજની યુવાપેઢીમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અંગે જે ઉદાસિનતા જોવા મળે છે, તેના કારણે આ ઐતિહાસિક વારસો બહુ જ ઝડપથી નાશ પામી જશે તેવો ભય પણ તેમણે વ્યક્ત કર્યો છે. આ માટે યુવાનોના માતાપિતાને જ જવાબદાર ગણાવતાં તેઓ કહે છે કે,' માતાપિતાને જ આ વારસાની કોઇ પડી ન હોય તો બાળકોનો શું વાંક ગણાય.' વર્ષેથી ગુજરાત વિશ્વના ફલક પર ઔદ્યોગીક  રાજ્ય તરીકે રજૂ થયું છે. પણ તેમના મને હવે ગુજરાતને સાહિત્ય અને સંસ્કારની ભૂમી તરીકે પ્રસ્થાપન કરવાનાં પ્રયત્નો પણ કરવા જોઇએ. અંતે સહુને સ્વર્ણિમ જયંતીની શુભેચ્છા પાઠવતાં તેઓ હળવેકથી ઉમેરે છે કે,' વિકાસની આંધળી દોડમાં આપણે માનવવિકાસ આંક એટલે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પાછળ ન પડી જૈએ તેનું ધ્યાન રાખવાની જરૂર છે.'

૭) જયશ્રીબેન પટેલ,
    આચાર્યા
ગુજરાતની નવી પેઢીના ધડતરની જવાબદારી ધરાવતાં જાણીતી શાળા શ્રી દુર્ગા  વિદ્યાલયના આચાર્યા જયશ્રીબેન પટેલ ગુજરાતની અસ્મિતાનો બહુ જ વ્યાપક અર્થ કરે છે. તે આપણાં સાહિત્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને અસ્મિતાના પ્રતિક તરીકે વણી લે છે. જો કે સ્વર્ણિમ ગુજરાતનાં કાર્યક્રમોની ટીકા કરતાં તેઓ કહે છે કે ' સરકારી પક્ષે યોગ્ય આયોજનનો સદંતર અભાવ છે. આ ઉપરાંત કાર્યક્રમોને ફરજીયાત બનાવામાં આવ્યાં હોવાથી લોકો દિલ દઇને કામ નથી કરતાં એ પણ વાસ્તવિક્તા છે. જો કે આ કાર્યક્રમોની ઊજળી બાબત પર ભાર મૂક્તા તેઓ કહે છે કે વિદ્યાર્થીમાં વક્તૃત્વ, નૃત્ય અને અન્ય વિવિધ ક્ષેત્ર પ્રત્યે રૂચી પેદાં કરવામાં આ કાર્યક્રમોએ મોટો ભાગ ભજવ્યો છે.
તે સ્વીકારે છે કે આજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સિવાયના ઇતર વાંચનમાં ભાગ્યે જ રસ પડે છે. પણ આ માટે માતા-પિતા અને શિક્ષકોને જવાબદાર ગણતાં તેઓ કહે છે કે 'આજે શિક્ષકો અને માતા-પિતાને જ વાંચવું ગમતું નથી તો પછી બાળકો વાંચતાં ક્યાંથી શીખશે.?' પોતે અંગ્રજી વિષયના શિક્ષક હોવા છતાં અંગ્રજી ભાષાના બેફામ ઉપયોગ સામે પોતાનો વિરોધ નોંધાવે છે. આપણે અંગ્રજી પ્રચુર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીયે છે તેને પણ આપણી કરૂણતાં ગણાવે છે. ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યેના ગૌરવનો સદંતર અભાવ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે,' આપણા નેતાઓ જ માતૃભાષા કરતાં અંગ્રજીને વધુ મહત્વ આપે છે, ત્યારે સામાન્ય પ્રજાને શું કહેવું?' તે કોઇ પણ પ્રદેશમાં રહેતાં લોકોની પ્રાદેશિક ભાષા શીખવાની જરૂરીયાત પર પણ ભાર મૂકે છે.


૮) મધુ મેનન
પર્યાવરણવાદી


જાણીતા પર્યાવરણવાદી અને ગુજરાતનાં ગામડાને અનેક વખત ખૂંદી વળનારા શ્રી મધુ મેનન  દિલ્હીથી ફૉન પર વાર્તાલાપ કરતાં જણાવે છે કે, 'ચૌદ વર્ષની ઉંમરે કેરળથી ગુજરાત આવ્યો અને ગુજરાતીઓના પ્રેમ અને વાત્સલ્ય મેળવીને સવાયો ગુજરાતી બની ગયો છું.' આજ સુધી તેમને પરપ્રાંતના હોવાને કારણે કોઇ પણ જાતનાં ભેદભાવનો અનુભવ થયો નથી. આ ઉપરાંત ભવિષ્યમાં આવા ભેદભાવ થવાની શક્યતાને સંપૂર્ણપણે નકારે છે.

ગુજરાતની અસ્મિતા વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે,' ગુજરાતની ઓળખ એક પ્રેમાળ અને પ્રગતિશીલ રાજ્ય તરીકેની છે.' જો કે ગિરના સિંહોને અન્ય રાજ્યોમાં ખસેડવાની વાતને આપણે અસ્મિતાનો પ્રશ્ન બનાવી દીધો છે, તેનો વિરોધ કરતાં  કહે છે કે, ' મને પણ અંગત રીતે આ સ્થળાંતર સામે વિરોધ છે, પણ આ પ્રકૃતિની બાબતને આપણે ભાવનાત્મક મુદ્દો ન બનાવવો જોઇએ.' વધુ વાત કરતા તેઓ જણાવે છે કે,' વિશ્વફલક પર ગુજરાતનાં પ્રાકૃતિક વૈવિધ્યને પણ ગુજરાતની ઓળખ તરીકે રજૂ કરવું જોઇએ. ફક્ત ઔધ્યોગિક રાજ્ય પૂરતી ઓળખ સીમીત ન રાખવી જોઇએ.'

વિકાસની દોડમા પ્રકૃતિને આડઅસર થઇ હોવાની સ્વીકારી શ્રી મધુ મેનન ઉમેરે છે કે, ' આજનાં યુવાનોમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ચોક્કસ વધી છે, પણ તેમને યોગ્ય માર્ગદર્શન અપવાની જરૂર છે.' સ્વર્ણીમ ગુજરાત વિશે વાત કરતાં તેઓ કહે છે કે, ' વિકાસના ફળ હજી અંતરિયાળ ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે પાયાની સવલતોનો જ અભાવ હોય, ત્યાં અસ્મિતાની જાળવણી જેવાં મુદ્દાઓ કોણ સમજી શકે.?' અંતે વિકાસની હરિફાઇ એ મનુષ્યને પ્રકૃતિથી દૂર કરી દીધો હોવાનું જણાવતાં શ્રી મધુ મેનન એવો આશાવાદ વ્યક્ત કરે છે કે, 'મનુષ્ય પ્રકૃતિથી દૂર થઇ શકે છે, પણ પોતાનામા રહેલા પ્રકૃતિના તત્વોથી શી રીતે દૂર થઇ શકે?.'




૯) હરનિશ શાહ
    વિદ્યાર્થી

સેંટ ઝેવિયર્સ સ્કુલ, લોયલામા અભ્યાસ કરતો વિદ્યાર્થી હરનિશ શાહ કહે છે કે 'અસ્મિતા શબ્દના અર્થની મને જાણ નથી. હા પણ મારા મતે ગુજરાતની ઓળખ છે આપણાં બેનમુન સ્થાપત્યો.' તેમના મતે ગુજરાતીઓની જીવન શૈલી નિરાળી છે. 'ગુજરાતી જીવન માણી જાણે છે. તે પ્રેમ અને લાગણીનો અર્થ સુપેરે સમજે છે.'આજે ગુજરાતની નવી પેઢી ગુજરાતીમા બોલવામા શરમ અનુભવે છે ત્યારે અંગ્રજી માધ્યમાં અભ્યાસ કર્યો હોવા છતાં હરનિશ કહે છે કે જો સામે વાળો પણ ગુજરાતી સમજી શકતો હોય તો ગુજરાતીમા વાર્તાલાપ કરવામાં શરમ શેની?.' અંગ્રજી ભાષા નિઃશંકપણે અગત્યની છે પણ તે માટે થઇ ગુજરાતી ભાષાનુ અપમાન તો ન થાય. અને હા ગુજરાતના ભવિષ્ય વિશે પૂછતાં ઉત્સાહસભર અવાજે જણાવે છે કે 'Gujarat will be rocking state'



૧૦) પૂર્વી દવે
      પત્રકાર


'સીટી ભાસ્કર'માં ફરજ બજાવતાં પૂર્વીબેન ગુજરાતની અસ્મિતાને આપણે ગુજરાતિ પ્રજા સાથે જોડે છે. આ ઉપરાંત ગુજરાતના શિલ્પ, સ્થાપત્ય, સાહિત્યને પણ આપણિ અસ્મિતાની ઓળખ ગણાવાનું ભુલતાં નથી. પૂર્વીબેનનાં મતે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કોએ એક દિવસનો પ્રસંગ નથી. નવી પેઢીને આપણાં વારસાનો પરિચય આપવા માટે આવા ઉત્સવો મહત્વનો ભાગ ભજવે છે. તેમનાં મતે ગુજરાતની અસ્મિતા અને સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે શહેરો ઉપરાંત ગામડાઓમાં રહેતી પ્રજા પણ ઉત્સાહિત છે. તેટલું જ નહી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ તે માટે થનગની રહ્યાં છે. અંતે તેઓ માને છે કે, ગુજરાતની અસ્મિતાને વધુ મહત્વ આપવાથી પ્રાંતવાદને ઉત્તેજન મળવાનું નથી.'ભારત એક મુળ છે, અને ગુજરાત તેની સખત વિકસતી શાખા છે.' ભવિષ્યમાં ગુજરાતની સંસ્કૃતિ નવા રૂપરંગ સાથે વધુને વધુ ખીલશે તેવી આશા તે વ્યક્ત કરે છે.


3 પ્રત્યાઘાતો:

paresh Saturday, May 01, 2010 11:09:00 am  

khub saras...

vanchi ne gamyuu

Dhwani Saturday, May 01, 2010 11:59:00 am  

Hello Sir,
Heads off to you.
Learn a lot about gujarat.
Uncommentable
Thank you.

sonal Wednesday, May 05, 2010 4:21:00 pm  

Very good Krutesh
u have a great potential to do everything. u r a vigilant citizen and Gujarat needs some more people like u. Keep it up.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP