Wednesday 30 June 2010

ઓ વ્રજનારી - દયારામ

આ પદમાં શ્રીકૃષ્ણના મુખે શોભતી વાંસળી વ્રજનારીઓની મીઠી પજવણી કરતી હોવાથી અને શ્રીકૃષ્ણના અધરનો રસ નિત્ય ચાખતી હોવાથી તેમની ઇર્ષાનું પાત્ર બની છે. વ્રજનારી-ગોપીઓ એથી વાંસળીને ઉપાલંભ આપે છે. ગોપીઓના અસરકાર ઉત્તર આપતી વાંસળી પોતાની વેદના અને દુઃખની વાત કરે છે. વાંસમાંથી વાંસળી બનવા સુધીની પ્રક્રિયા જણાવતાં તેણે ટાઢ-તડકો વેઠ્યો છે, વરસાદની ઝડી સહી છે, પોતાના અંગો છેદ્યા છે, ત્યારે જ તે શ્રીકૃષ્ણની પ્રીતિપાત્ર બની શકી છે. વાંસળીની જેમ ભક્ત પણ તપ કરે, દુઃખ સહન કરે ત્યારે જ તે પ્રભુનો પ્રીતિપાત્ર બને છે. કવિએ સજીવારોપણ અલંકાર દ્વારા સરસ રીતે કૃષ્ણભક્તિનો ભાવ રજૂ કર્યો છે.


કૃષ્ણગીત
કવિ - દયારામ

ઓ  વ્રજનારી  !  શા  માટે   તું   અમને  આળ  ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે    મોહને    મ્હેર   આણિ   મનમાં,   ઓ   વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,
સુખદુઃખ   કાંઇ   દિલમાં   નવ   લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે     ઉપર      છેદ    પડાવિયા,     ઓ      વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,
દેહ     અર્પી   અર્ધ    અંગે    દીધી,   ઓ   વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા    ભેદગુણ    દીસે      ભારી    !   ઓ      વ્રજનારી ! 

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP